ભારતની કોરોના વાયરસ સામેની લડાઈમાં ફ્રંટલાઈન વૉરિયર્સ
અંગત દુઃખ ભૂલીને કેવી રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેનું ઉદાહરણ વલસાડના
જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણે પૂરું પાડ્યું છે. સી. આર. ખરસાણના 86 વર્ષીય માતા રેવાબેનનું 14
એપ્રિલે નિધન થયું. રેવાબેન બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના
રૈયા ગામમાં રહેતા હતા. માતાના નિધનના સમાચાર મળતાં જ કલેક્ટર ખરસાણ 500 કિલોમીટરની મુસાફરી કરીને પોતાના ગામ પહોંચ્યા હતા. લગભગ 8 કલાકની મુસાફરી બાદ ગામમાં માતાના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરીને થોડા જ
કલાકોમાં તેઓ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા.
કલેક્ટર ખરસાણે જણાવ્યું કે, “15 એપ્રિલની વહેલી સવારે મને માતાના
નિધનના સમાચાર મળ્યા હતા. હું તાત્કાલિક મારા પરિવારના સભ્યો સાથે વતન જવા નીકળી
ગયો હતો. ગામડે પહોંચીને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. લાંબા અંતરની મુસાફરી
હોવાથી અમારા ડ્રાઈવરને આરામની જરૂર હતી. એટલે અમે ગુરુવારે વહેલી સવારે વલસાડ
આવવા નીકળ્યા હતા. પરત આવીને તરત જ હું ડ્યૂટી પર હાજર થયો હતો. હાલની ગંભીર
સ્થિતિને જોતાં ડ્યૂટી પર ત્વરિત પાછું ફરવું જરૂરી હતું. વલસાડ જિલ્લાની સરહદ
મહારાષ્ટ્ર અને કેંદ્ર શાસિત પ્રદેશને અડીને આવેલી છે જ્યાં કોરોના વાયરસના કેસોની
સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ડ્યૂટી પર
હાજર થવું જરૂરી હતું.”
2006ની બેચના IAS ઓફિસર ખરસાણે જણાવ્યું કે, માતા તેમની સાથે જ રહેતા
હતા પરંતુ લોકડાઉનના અઠવાડિયા પહેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વતન ગયા હતા.
માતા અને માતૃભૂમિને પ્રેમ કરતાં કલેક્ટરે કહ્યું, “લોકડાઉનના
કારણે લગ્ન રદ્દ થયા હતા. મારા માતા ત્યાં જ રોકાઈ ગયા અને તેમણે કહ્યું હતું કે,
સ્થિતિ સામાન્ય થયા બાદ વલસાડ પરત આવશે. પરંતુ ભગવાનને તેમના માટે
બીજી જ યોજના ઘડી હતી. મારી માતાને ઉંમરના કારણે કોઈ તકલીફ નહોતી. માતાના નિધન બાદ
અમે અમારા મિત્રો અને સંબંધીઓને ફોન પર જ ખરખરો કરવાનું કહ્યું હતું.”
No comments:
Post a Comment